આજે પાંચમી મે એટલે વિશ્વ રીંછ દિવસ. છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠાના લોકો રીંછના નામ માત્રથી ફફડી રહ્યા છે.છેલ્લા એક મહિનામાં જ બનાસકાંઠામાં રીંછના હુમલાની ત્રણ ઘટનાઓ નોંધાઇ છે.વળી, થોડા દિવસો પૂર્વે માઉન્ટ આબુના જાહેર માર્ગો પર રાત્રીના સમયે જાહેર માર્ગો પર લટાર મારવા નીકળેલી રીંછ બેલડી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.આ રીતે માનવ વસવાટ ધરાવતા વિસ્તારોમાં રીંછની વધતી જતી અવરજવર ભયનો માહોલ સર્જે એ સ્વાભાવિક પણ છે.
વાત કરીએ બનાસકાંઠાની તો ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠાના અમીરગઢ નજીકના જાસોરના જંગલોમાં રીંછ અભયારણ્ય કાર્યરત છે અને વન વિભાગના અહેવાલો મુજબ બનાસકાંઠામાં અમીરગઢ અને દાંતા તાલુકાના જંગલ વિસ્તારોમાં કુલ ૧૨૦ જેટલા નર-માદા રીંછનો વસવાટ નોંધાયો છે.રીંછ સામાન્ય રીતે માંસાહારી પ્રાણી છે પરંતુ બનાસકાંઠા અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વિહરતા રીંછ ઉધઈ, કીડી મકોડા અને જંગલી પેદાશોનો જ આહાર માટે ઉપયોગ કરે છે.એકલા જેસોર અભયારણ્યમાં જ ૭૫ રીંછ વિહરે છે. આ અભયારણ્યને અડીને આવેલા વિસ્તારોમાં રીંછના હુમલાની વધતી જતી ઘટનાઓના પગલે વન વિભાગે તાજેતરમાં જ રાત્રી દરમ્યાન જેસોરના જંગલ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી લોકોને રીંછના હુમલાથી બચવા માટે સાવચેત રહેવાની સલાહ પણ આપી છે. રીંછવૃંદ માટે વન વિભાગ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં પાણીની પર્યાપ્ત વ્યવસ્થા પણ કરાઈ છે.જોકે મોટા ભાગે ખોરાકની શોધમાં જ માનવ વસવાટવાળા વિસ્તારોમાં ધસી આવતા રીંછ રાત્રીના સમયે જ નજરે પડતા હોઈ લોકોએ સ્વબચાવ માટે જાગૃત બનવુ જરૂરી જણાઈ રહ્યું છે.