મોહરમ પર અલગ અલગ અકસ્માતમાં ત્રણનાં મોત થયાં છે અને તાજિયામાં આગ લાગવાના કારણે ૬૬ દાઝી ગયા હતા. જેમાં પાંચની હાલત ગંભીર છે. બીજી બાજુ માતમ દરમિયાન છરી લાગવાથી એક વ્યકિતનો હાથ કપાઇ ગયો હતો.
ફૈઝાબાદના કુમારગંજ ગામના આઠ લોકો અને અમેઠીના જગદીશપુરમાં મોહરમની ઝિયારત કરવા કુડવાઘાટથી નૌકા લઇને જગદીશપુર પોલીસ સ્ટેશન હેઠળના ગૌહરકા પૂર્વા જઇ રહ્યા હતા ત્યારે મધરાત બાદ ગોમતી નદીમાં પાણી વહેણ તેજ બનતાં નૌકા ઊંધી વળી જતાં બેનાં મોત થયાં હતાં.બાકીના લોકો જોકે બચી ગયા હતા.
આ ઉપરાંત મુરાદાબાદમાં જયંતીપુરથી કરબલા જતી વખતે તાજિયા હાઇટેન્શન લાઇનના સંપર્કમાં આવતાં તાજિયામાં આગ લાગી હતી અને તેના કારણે તાજિયામાં કરંટ પસાર થવાથી પ૦ લોકો દાઝી ગયા હતા, જેમાં પાંચની હાલત ગંભીર છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. દાઝેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મંડી રોડ પર આવેલ સૈની સિમેન્ટ સ્ટોર નજીક ઘટી હતી.
મોહરમના દિવસે તાજિયા લઇને જ્યારે લોકો કરબલા જઇ રહ્યા અને તાજિયાની ઊંચાઇ ૧૬ ફૂટ હોવાથી ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજ વાયરના સંપર્કમાં આવતાં તાજિયામાં આગ લાગી ગઇ હતી. તાજિયાની ઉપર લાઉડ સ્પીકર પણ રાખવામાં આવ્યું હતું, જેના કારણે હાઇટેન્શન વાયરનો કરંટ તાજિયામાં ઊતરી જતાં જોરદાર ધડાકા સાથે.
આગ લાગી ગઇ હતી અને તેના કારણે તાજિયાની આસપાસ ચાલી રહેલા પ૦ જેટલા લોકો દાઝી ગયા હતા અને ભારે અફરાતફરી મચી ગઇ હતી. સ્પાર્કિંગને કારણે આગના ગોળા નીચે પડતાં જોત જોતામાં તમામ તાજિયા આગની લપેટમાં આવી ગયા હતા લોકો ચીસો પાડવા લાગ્યા હતા. કરંટને જોઇને આસપાસ ઊભેલા લોકોની પણ દાઝેલા લોકોને બચાવવાની હિંમત ચાલી નહોતી.
તાજિયામાં કરંટ પસાર થવાથી આગ લાગવાને કારણે હડકંપ મચી ગયો હતો. અફરાતફરીના માહોલમાં દાઝેલા લોકોને એમ્બ્યુલન્સમાં નાખીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગ લાગવાની બીજી એક ઘટના ડીંડોલી પોલીસ સ્ટેશન હેઠળના કનપુરા ગામમાં ઘટી હતી.
કનપુરામાં કરબલા વખતે રપ ફૂટ ઊંચા તાજિયા વીજળીના સંપર્કમાં આવતાં કરંટ ઊતરી ગયો હતો અને તેના કારણે એક જ ગામના ૧૬ લોકો દાઝી ગયા હતા. ગોંડના પરસપુર પોલીસ સ્ટેશન હેઠળના આન્ટા ટાઉનમાં મોહરમના જુલૂસ દરમિયાન દીવાલ પડવાથી આઠ વર્ષના એક બાળકનું મોત થયું હતું.