થરાદ વાવ રોડ પરથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં મંગળવારની સવારના સુમારે પુલ પાસેથી કપડાં તથા પર્સ અને ચંપલ તથા આધારકાર્ડ સાથે અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. જે દિપકકુમાર ચમનાભાઇ ઠાકોર રહે.વારા તા.થરાદ હાલ રહે.નાગલા હોવાનું જાણવા મળતાં થરાદ પોલીસ અને નગરપાલિકાની રેસ્કયુ ટીમને જાણ કરવામાં આવી હતી.
આથી નગરપાલિકાના તરવૈયા સુલતાનમીર અને તેમની ટીમે બપોરના સુમારે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતક યુવક તાલુકાના નાગલાની સીમમાં છુટક ખેતમજુરી કરતો હતો. તેમજ તેના પિતા વીસેક વર્ષ પહેલાં મૃત્યુ પામેલ હોવાનું તથા માતાએ બીજુ ઘર કરેલ હોવાનું તથા કોઇ ભાઇ બહેન નહી હોઇ સગાઇ કરેલ યુવક એકલો રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતરાઇ રમેશભાઇ ભુરાભાઇ ઠાકોરની જાણના આધારે પોલીસે પીએમ કરાવી અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવકની સગાઇ સવરાખા મુકામે કરેલ હતી. તેનો મૃતદેહ નહેરમાંથી મળતાં બનાવ હત્યા કે આત્મહત્યાનો તેને લઇને તર્ક ચર્ચાસ્પદ બન્યા હતા.