ડીસા તાલુકાના પેછડાલમાં પણ શૌચાલયનું ભૂત ધુણ્યું
રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા તાલુકામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાનનું સપનું રોળાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાવેલ શૌચાલય કૌભાંડમાં દિન પ્રતિદિન એક પછી એક ગેરરીતિઓ બહાર આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં શૌચાલય કૌભાંડ આચરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને ડીસા તાલુકામાં સરકારી અઘિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી શૌચાલય બનાવવામાં ભય વગરનો ભ્રષ્ટાચાર અચરાયો છે.જેમાં ડીસા તાલુકાના બુરાલ ગામે કાગળ ઉપર શૌચાલય બનતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત થોડા સમય પહેલા કૌભાંડ મામલે તત્કાલીન તાલુકા પંચાયત ડીસાના ઇન્ચાર્જ ટી. ડી. ઓ.ને પણ જેલવાસ થયો હતો.
જે બાદ મનરેગા યોજના હેઠળ કૌભાંડ બહાર આવ્યું હતું તેમાં પણ તત્કાલીન ઇન્ચાર્જ ટી.ડી.ઓ. ની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હાલમાં તલાટી કમ મંત્રી તથા અઘિકારીઓ સામે તપાસ ચાલું હોવાનું ગાણું ગવાય છે. જયારે સમગ્ર શૌચાલય કૌભાંડમાં ગામ વિકાસ એજન્સીની મુખ્ય ભુમિકા છે છતાં વહીવટીતંત્ર દ્વારા ગામ વિકાસ એજન્સીના અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે જ્યારે હવે ડીસા તાલુકાના પેછડાલ ગામમાં પણ સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા શૌચાલય કૌભાંડ આચરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પેછડાલ ગામમાં અંદાજે ૧૦૦ જેટલા શૌચાલય બનાવ્યા ના હોવા છતાં ખોટા બિલો બનાવીને સરકારના રેકોર્ડ સાથે ચેડાં કરીને મસમોટું કૌભાંડ આચરાયું હોવાની રજુઆત કરવામાં આવી છે જાગૃત નાગરીકો દ્વારા બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરજી લખીને સમગ્ર મામલે તપાસ કરાવાની માંગ કરવામાં આવી છે જ્યારે આરટીઆઇ હેઠળ પણ માહીતી માંગી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પેછડાલ ગામમાં હનુમાનપુરા દુધ ઉત્પાદન મંડળીમાં ભષ્ટાચાર થયો હોવાની રજુઆતના પગલે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. જેમાં ડેરીનાં મંત્રીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી હવે ફરીથી ગામમાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યું હોવાની જાગૃત નાગરીકો દ્વારા વહીવટીતંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે ત્યારે શૌચાલય કૌભાંડમાં વહીવટીતંત્ર દ્વારા સરપંચ તથા કૌભાંડ આચરનાર કસુરવારો સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે તેવી જાગૃત નાગરીકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.