બનાસકાંઠાના ખેડૂતો માટે સૌથી મોટી આનંદની પળ આવી છે.નર્મદા ડેમ ઓવરફલો થતા તેનું પાણી પાઇપલાઇન દ્વારા ખેડૂતોની વર્ષોથી જે માંગણી હતી તે મુજબ દાંતીવાડા ડેમમાં નાખતા બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ સહિત ખેડૂતોએ નર્મદા નીરનાં વધામણાં કર્યા હતા.
આંતરેદાહદે દુષ્કાળનો સામનો કરતા બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન નિવારવા રાજ્ય સરકાર દ્વારા ૫૦૦ કરોડનાં ખર્ચે પાઇપ લાઇન નાખવામાં આવી છે.ત્યારે જિલ્લના ખેડૂતો સહીત આમ જનતા દ્વારા છેલ્લા ઘણા સમયથી નર્મદાના નીરથી જીલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણી નાખવા માંગણી કરાઈ હતી.દરમિયાન પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી સહીત અગ્રણીઓની રજુઆતના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ નર્મદાના નીરથી દાંતીવાડા ડેમ ભરવાનો નિર્ણય કર્યો છે. આથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફલો થતા તેનું પાણી હવે પાઇપલાઇન દ્વારા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં નાંખવામાં આવી રહ્યું છે.કાંકરેજ તાલુકાના ચાંગા નર્મદા નહેરથી પાઇપ દ્વારા પાણી શરુ કરાયું છે.જેમાં જીલ્લાના ૪૫ તળાવોને પાઇપ દ્વારા ભરવામાં આવશે અને સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી નાખવામાં આવ્યું છે.બાદમાં આ પાણી દાંતીવાડા ડેમ સુધી પહોંચ્યું છે. જ્યાં સુધી નર્મદા ઓવરફ્લો ચાલુ રહેશે ત્યાં સુધી ડેમમાં પાણી નાખવામાં આવશે. અત્યારે ૧૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે અને૮૦ કિમિ પાઇપ લાઇન મારફત સુજલામ સુફલામ નહેરમાં પાણી છોડયું છે. આમ ગઈકાલે દાંતીવાડા ડેમમાં નર્મદા નદીના નીર નાખવામાં આવતા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ સહિત ખેડૂતોએ નર્મદા નીરનાં વધામણાં કર્યા હતા.