રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુર – અમદાવાદ હાઇવે પર અગાઉ રેલવે ફાટકના કારણે ટ્રાફિક જામ થતો હતો. જોકે, ફાટક પર રેલવે ઓવરબ્રીજ બનાવી દેવાયો છે. છતાં પણ એરોમા સર્કલ ફરતે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ ન થતાં દિવસભર અહિંયા ટ્રાફિકજામના વરવા દ્રશ્યો સર્જાય છે. જેના નિવારણ અર્થે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાયા હોવા છતાં ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે. ત્યારે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખએ જિલ્લા કલેકટરને ટ્રાફિકની સમસ્યાના હલ માટે સૂચનો સાથેની રજૂઆત કરી હતી. પાલનપુર એરોમા સર્કલ ફરતે અમદાવાદ, ડીસા, આબુરોડ અને પાલનપુર શહેરમાં જતાં- આવતા વાહનો પસાર થાય છે. જ્યાં અગાઉ રેલવે ફાટકના કારણે ટ્રાફિક જામ થતું હતુ. અને લોકોને કલાકોના કલાકો વાહનોમાં બેસી રહેવું પડતું હતુ. આ અંગે મિડીયા તેમજ શહેરીજનોની અનેક રજૂઆતોના પગલે તંત્ર દ્વારા ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો. જેથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે તેવું વાહનચાલકોને લાગી રહ્યું હતુ. જોકે, હવે ઓવરબ્રીજ ઉતરતા જ એરોમા સર્કલ ફરતે ટ્રાફિકજામ થતું હોવાથી આ સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઇ જોષીએ અશોકભાઈ સોની અને દેવીલાલ જાંગીડ સાથે નિવાસી નાયબ કલેકટરને રજૂઆત કરી હતી.
તસ્વીર અહેવાલ : સંજય જોષી