પાલનપુર સિવિલમાં માનવતા લજવાઈ : ૨ મૃતદેહો ૧૨ કલાક સુધી રઝળ્યા

પાલનપુર : પાલનપુરની ખાનગી ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સિવિલ સત્તાવાળાઓની મનમાનીથી ગરીબ આદિવાસી પરિવારોની બે મહિલાઓના મૃતદેહો ૧૨ કલાક સુધી પી.એમ. રૂમની બહાર વરસતા વરસાદમાં પડી રહ્યા હતા. જેને પગલે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.
પાલનપુર સિવિલ હોસ્પિટલ ના ખાનગીકરણ બાદ વહીવટ કથળ્યો હોવાની પ્રતીતિ કરાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે અલગ-અલગ બનાવોમાં મોતને ભેટેલી આદિવાસી મહિલાઓને મોત બાદ પોસ્ટ મોર્ટમ રૂમ પણ નસીબ થયો નથી. ચીખલાથી બાઇક પર આવી રહેલી લક્ષ્મીબેનને અકસ્માત નડ્‌યો હતો. જેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તેનું મોત નિપજ્યું હતું. જેથી મૃતદેહને પુનઃ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ફરજ પરના તબીબે મૃતદેહને પી.એમ.રૂમમાં રાખવા નો ઇન્કાર કરી દીધો હતો.  જેથી આ મહિલાનો મૃતદેહ પી.એમ.રૂમ બહાર વરસતા વરસાદમાં રઝળતો જોવા મળ્યો હતો. જયારે બીજા બનાવમાં અમીરગઢ તાલુકાના ખાપા ગામના ધુળીબેન ખરાડીને પણ મોત બાદ પી.એમ. રૂમમાં રાખવાનો ઇન્કાર કરાયો હતો. આદિવાસી પરિવારના કેસાભાઇ પરમારે જણાવ્યું હતુ કે,  તેમના કાકાનો દિકરો સાયબાભાઇ પરમાર ચીખલાથી લક્ષ્મીબેન નાનાભાઇ મોરીજિયા અને તેમની બહેનને બાઇક ઉપર બેસાડી વિરમપુર આવી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં લક્ષ્મીબેન બાઇક ઉપરથી પડી જતાં પ્રથમ વિરમપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જોકે, ત્યાં રવિવારના કારણે તબીબો હાજર ન હોવાથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં હાલત નાજુક જણાતાં તબીબે અમદાવાદ ખસેડવાનું કહ્યું હતુ જોકે, પરિવાર તેણીને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડી રહ્યો હતો. તે દરમિયાન લક્ષ્મીબેનનું મોત નિપજ્યું હતુ. આથી મૃતદેહને પુનઃ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ફરજ પરના આર. એમ. ઓ.એ જો પીએમ કરાવો તો જ મૃતદેહ પીએમ રૂમમાં મુકવા દઉ તેવું જણાવ્યું હતુ. બીજી તરફ લક્ષ્મીબેનના પરિવારના નજીકના સગા હાજર ન હોઇ અને સામાજીક રીત- રિવાજોના કારણે તાત્કાલિક પીએમ કરવાની ના પાડતાં મૃતદેહ પીએમ રૂમમાં મુકવા દીધો ન હતો. જયારે બીજા બનાવમાં અમીરગઢ તાલુકાના ખાપા ગામના ધુળીબેન ગલબાભાઇ ખરાડીને ઘણા સમયથી ટીબીની બિમારી હતી. તેમનું રવિવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આથી મૃતકના પિયરપક્ષના લોકો ન આવે ત્યાં સુધી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવા માટે લઇ આવ્યા હતા. પરંતુ તેમના મૃતદેહને પણ પીએમ રૂમમાં ન મુકવા દેતાં બંને મહિલાઓના મૃતદેહો રવિવારે સાંજથી સોમવારે વહેલી સવારે ૧૨ કલાક સુધી પીએમ રૂમની બહાર જ વરસતા વરસાદમાં રઝળતા પડી રહ્યા હતા. આમ, આ બન્ને બનાવો સિવિલના સત્તાવાળાઓ મોતનો મલાજો પણ જાળવતા ન હોવાની ગવાહી પુરી પાડી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.