આર.સી.ઈ.પી. કરારનો ઈનકાર કરીને વડાપ્રધાને આપણો દૂધનો વ્યવસાય બચાવ્યો : શંકરભાઈ ચૌધરી
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસ ડેરી અને ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે દાંતા તાલુકાનો દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને દાંતા શીત કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આર.સી.ઈ.પી. સંધીમાં ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહી ન કરતા વિદેશી ડેરીઓની ભારતમાં પ્રવેશ બંધી થતા આપણો દૂધનો વ્યવસાય બચી ગયો છે અન્યથા વિદેશી ડેરીઓનું સસ્તા ભાવ નું દૂધ ભારતમાં ઠલવાતા આપણા પશુપાલકોને બેકાર થવાનો વારો આવત. તેમણે ઉમેર્યું કે બનાસડેરી ના આદ્યપ્રણેતા સ્વ. ગલબાકાકાએ આપણા જિલ્લાને દૂધનો વ્યવસાય આપ્યો, આપણે પૂરી નિષ્ઠાથી તેનું જતન કરીને દૂધની સાથે અન્ય વ્યવસાયો જેવા કે ખાદ્ય તેલ, મધ, ગોબરગેસ જેવા વ્યવસાયો ઉભા કરીને પશુપાલકોને દૂધની સાથે સાથે વધારાની આવક પણ મળે તેવો પ્રયાસ કરી રહ્યા છીએ. તાજેતરમાં નાગરિકતા કાનૂનને લઈને ઉભી થયેલી ગેરસમજની સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું કે ઝ્રછછ નો કાયદો કોઈપણ ભારતીય નાગરિકને દેશમાંથી બહાર કાઢવા માટે ઘડાયો નથી. તેના માટે ફેલાતી અફવાઓ અને ગેરસમજ થી દુર રહીને પરસ્પર ભાઇચારાનું વાતાવરણ બની રહે તે માટે સૌને અનુરોધ કર્યો હતો.
ચાલુ વર્ષે વિક્રમજનક ૭૨ લાખ લિટર દૂધનું સંપાદન થવા છતાં એક પણ દિવસ ડેરી બંધ નહીં રહે તેવું આશ્વાસન આપતાં તેમણે જણાવ્યું કે દૂધનો પુરવઠો સતત વધી રહ્યો છે છતાં પણ દૂધ ઉત્પાદકોને ચૂકવાતા ભાવ અને ભાવવધારામાં ગયા વર્ષથી પણ વધારે વળતર દૂધ ઉત્પાદકોને આપવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાએ જણાવ્યું કે બનાસડેરી એશિયામાં નંબર વન છે અને તેના ચેરમેન શંકરભાઈ ચૌધરી જે પ્રમાણે પશુપાલકોની ચિંતા કરી રહ્યા છે તે જોતા આવતા દસ વર્ષ સુધી બનાસ ડેરીનું નંબર વનનું સ્થાન બીજી કોઈ ડેરી નહીં લઈ શકે.વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ જણાવ્યું કે દૂધના વ્યવસાયમાં દૂધનું ઉત્પાદન ખર્ચ કેમ ઘટે તે માટે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક બહેનો મોનિકાબેન ઠાકોર રાણોલ, નજીફાબેન રહમતભાઈ રસામણા ખેરોજ,ભીખીબેન બુમ્બડીયા અને અન્નપૂર્ણાબેન પ્રજાપતી હરીગઢએ દૂધના વ્યવસાય થકી થયેલા સુખદ અનુભવો વર્ણવીને બનાસડેરીના પારદર્શક વહીવટની પ્રસંશા કરી હતી. ડેરીના આસિસ્ટન્ટ મેનેજર કરશનભાઈ ચૌધરી, ડા હરિભાઈ પટેલ, ડો. પ્રફુલભાઈ ભાણવડીયા અને ઇન્ચાર્જ એમ.ડી. કામરાજભાઈ ચૌધરીએ પ્રેઝન્ટેશન દ્વારા બનાસ ડેરીની વિવિધ સેવાઓ અને પ્રગતિના આલેખ રજુ કર્યા હતા.
આ પ્રસંગે પશુ દીઠ વધુ દૂધ ઉત્પાદન હરીફાઈમાં અગ્રેસર બહેનોને, આઇ.એસ.ઓ. સર્ટિફાઇડ મંડળીઓને પણ આઈ.એસ.ઓ. પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાતેમજ ઉત્તમ કામગીરી કરનાર બીજદાન કર્મચારીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બનાસડેરી ના દાંતા વિભાગના ડિરેક્ટર દિલીપસિંહ બારડે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ડિરેક્ટર ભાવાજી રબારી, પૂર્વ ડિરેક્ટર બલુભા બારડ, એપીએમસી ચેરમેન પ્રભુદાસ પટેલ, તાલુકા સંઘના ચેરમેન રામસિંહ બારડ, જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે અને ભરતસિંહ ભટેસરીયા ,તાલુકા ભાજપ પ્રમુખ અમરતજી ઠાકોર, પૂર્વ પ્રમુખ ગલબાજી ઠાકોર,જવાનજી ઠાકોર, દાંતાના પૂર્વ સરપંચ વિક્રમસિંહ પરમાર, સહકારી અગ્રણી નૂરભાઈ ઉમતિયા,ફૂલસિંહ આંબળા, માલજીભાઇ કોદરવી, કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઇ, તાલુકા ભાજપ મહામંત્રી દશરથસિંહ બારડ, માધુભાઈ ધ્રાંગી, પૂર્વ મહામંત્રી શામજીભાઈ ચૌધરી સહિત તાલુકાના ચેરમેનઓ, મંત્રીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં દૂધ ઉત્પાદક બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સંચાલન સિનીયર ક્લાર્ક નીતાબેન ચૌધરીએ કર્યું હતું.