પાલનપુર : પાલનપુર ખાતે ડેરી રોડ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એ.ટી.એમ.ને રાત્રે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રૂપિયા ૧૯.૬૧ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા બેંન્ક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. ચોરી, મારા-મારી, લૂંટ, ચીલ ઝડપ સહીતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. ગુનેગારોમાં બેખોફ બન્યા હોય તેમ એક પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે.
દરમિયાન, પાલનપુર ખાતે સોમવારે રાત્રે એટીએમએમ તૂટતાં શહેરીજનોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. બીજી તરફ તસ્કરોને ઝડપી લેવા માટે પોલીસ દોડતી થવા પામી છે. શહેરમાં બનેલી ચોરીની ઘટના અંગે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલનપુર બનાસ ડેરી રોડ નજીક આવેલાએસ.બી.આઈનું એ. ટી. એમ. આવેલુ છે. જ્યાં સોમવારે રાત્રે અજાણ્યા તસ્કરો આ એટીએમ મશીનને તોડી તેમાંથી રૂપિયા ૧૯,૬૧,૦૦૦ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તેમજ એટીએમ તોડતાં રૂપિયા ૨,૫૦,૦૦૦નું નૂકશાન થવા પામ્યું હતુ. જેની જાણ મંગળવારે વહેલી સવારે બેંકના સંચાલકને થતા પોલીસને જાણ કરવામાં અવી હતી. જેથી પૂર્વ પોલીસ મથકનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.