સચિન-કનસાડ રેલવે બ્રિજ નજીકની ઉમંગ સોસાયટી પાસેના ઝાડ નીચેથી આજે(શુક્રવાર) સવારે ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી મળી આવતા લોકો ભેગા થઈ ગયા હતા. બાળકીના રડવાના અવાજ બાદ ભેગા થયેલા લોકોએ આજુબાજુ તેની માતાને શોધવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગરમ ધાબળા ઉપર પિંક કલરના બેબી રૂમાલમાં લપેટી પોતાના કાળજાના કટકાને ત્યજી દેનાર નિષ્ઠુર માતા સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. 108 અને 109 હેલ્પ લાઈનની મદદથી બિનવારસી બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાતા NICU માં દાખલ કરાઈ હતી.
હેતલ (EMT, 108 સચિન લોકેશન) એ જણાવ્યું હાતું કે, કોલ નાઈટના 108ના કર્મચારીને મળ્યો હતો. ત્યારબાદ ડ્યુટી બદલાતા આ કેસમાં ઘટના સ્થળે તેઓ ગયા હતા. માસૂમ ફૂલ જેવી બાળકી સ્થાનિક લોકોના હાથમાં હતી. કોઈ નિષ્ઠુર જનેતાએ બાળકીને ધાબળા અને ગુલાબી બેબી રૂમાલમાં લપેટી બાળકીને તરછોડી દીધી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બેબી તંદુરસ્ત હોવાનું કહીં શકાય છે. તેમજ 6-7 દિવસ પહેલા જ આ માસૂમ બાળકીનો જન્મ થયો હોય તેવું આનુમાન છે. બાળકીનું વજન લગભગ 2 કિલોનું છે. તંદુરસ્ત બાળકીને તરછોડવા પાછળ માતાની કંઈ મજબૂરી હોય એ જાણવું ખૂબ જ જરૂરી છે.
ડો. એમ સી ચૌહાણ (CMO) એ જણાવ્યું હતું કે, બાળકીના સ્વાસ્થ્ય ને જોઈ હાલ તેણીને તાત્કાલિક NICU માં દાખલ કરાઈ છે. ત્યજી દેવાયેલી બાળકીના પરિવારને શોધી કાઢવા પોલીસને જાણ કરાઈ છે. બાળકી તંદુરસ્ત અને હેલ્થી છે. જોકે, પ્રશ્ન એક એ છે કે, ફૂલ જેવી કોમળ બાળકીને ત્યજી દેવા પાછળ માતાની કઈ મજબૂરી હશે તે એક પ્રશ્ન બની ગયો છે.
Next