ચાણસ્મા
ચાલુ સાલે બહુચરાજી તાલુકામાં વાવણીલાયક વરસાદ થયો ન હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવતાં ખેડુતોમાં ભારે નારાજગી જાવા મળી રહી છે. ત્યારે બહુચરાજી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે ગુરુવારે બહુચરાજીમાં તાલુકા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તાલુકાને વહેલી તકે અછતગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરની આગેવાનીમાં નીકળેલી રેલીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, તા.પં. પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, કારોબારી અધ્યક્ષ ગાંડાલાલ પટેલ, પૂર્વ અધ્યક્ષ જશુભાઈ પ્રજાપતિ, પિન્ટુભાઈ પટેલ સહિત અગ્રણીઓ જાડાયા હતા. અને તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં ભેદભાવભરી નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. રેલી મામલતદાર કચેરી પહોંચી મામલતદાર બકુલભાઈ નાયકને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, તાલુકામાં પૂરતો વરસાદ થયો નથી. જેના કારણે વાવેતર કરેલો પાક સૂકાઈ રહ્યો છે. કેનાલોમાંથી પાણી આપવામાં આવ્યું નથી. નદી-નાળાં- તળાવો ખાલી પડ્યાં છે. સૌથી કફોડી હાલત ઘાસચારો અને પાણી વિના પશુઓની બની છે. તાલુકામાં ત્રૂટક ત્રૂટક વરસાદ નોંધાયો છે, જેને કારણે વાવેતર ઓછું થયું છે. અને જે કરાયું છે તે નાશ થવાના આરે છે. સરકાર માત્ર આંકડાકીય રમત રમવાના બદલે સાચા અર્થમાં સર્વે કરાવી તાલુકાને વહેલી તકે અછતગ્રસ્ત જાહેર કરે તેવી માગણી છે. અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું. મામલતદારે ખેડુતોની માગણીને સરકાર સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી હતી.