પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ ખાતે નીકળેલી પાટીદાર સદભાવના યાત્રાને પાસ નેતા હાર્દિક પટેલ અને એસ.પી. જી. નેતા લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાયા હતા.
અનામત, ખેડૂતોને દેવામાફી અને અલ્પેશ કથેરિયા ની જેલમુક્તિની માંગ સાથે બનાસકાંઠાના પાટીદારોએ પાલનપુર થી ઉંઝા ઉમિયાધામ સુધીની પાટીદાર સદભાવના યોજી હતી. પાલનપુર થી બ્રાહ્મણવાડા સુધી ટ્રેકટર- કાર અને બાઇકોના કાફલા સાથે આ યાત્રા જશે. ત્યાર બાદ પાટીદારો પદયાત્રા કરી ઉંઝા પહોંચશે. આ પ્રસંગે ઉપસ્થિત પાટીદાર નેતા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. પાણી ના સંગ્રહ માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી. જોકે રાજ્યના ઘણા જિલ્લાઓને હજી પણ અછતગ્રસ્ત કરવાની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
પાટીદાર સદભાવના યાત્રામા આવેલા એસ.પી.જી.ના પ્રમુખ લાલજી પટેલે ૨૦૧૯ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજની માંગણીઓ સ્વીકારી લેવાની સરકારને ચીમકી ઉચ્ચારી હતી. સરકાર દ્વારા થતા અન્યાય સામે આગામી સમયમાં પણ યાત્રા- રેલી સહિતના કાર્યક્રમો આપવાની જાહેરાત લાલજી પટેલે કરી હતી.
પાલનપુર થી ઉંઝા ઉમિયાધામ ખાતેની પાટીદારોની સદભાવના યાત્રા મા હજારો પાટીદારો જોડાયા હતા. પાટીદારો ની માંગણીઓને લઈ આ યાત્રા થકી પાટીદારો સરકારને જગાડવાનું કામ કરશે.