ઇડર તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી કરવા માટે સરકાર દ્વારા ઇડરના સાપાવાડા ગામે આવેલ નવિન માર્કેટયાર્ડ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો આવી કડકડતી ઠંડીમાં પોતાના વાહનોમાં મગફળી લઇ વેચાણ માટે આવતા હોય છે પરંતુ કેટલાંક દિવસથી મગફળીની ખરીદી સમયસર શરૂ કરવામાં આવતી નથી. સરકારે નિમણૂંક કરેલા અધિકારીઓ સમયસર આવી ખરીદી શરૂ કરતા નથી. જેને લઇ ખેડૂતોએ કલાકો સુધી બેસી રહેવું પડે છે.
ગઇકાલે પણ અધિકારીઓ સમયસર ન આવતાં ખેડૂતોએ હિંમતનગર-અંબાજી હાઇવે ઉપરના ઇડરના સાપાવાડા ગામ પાસે આવેલ માર્કેટયાર્ડ આગળ ટ્રાફિક બંધ કરી દીધો હતો. જેને લઇ વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. આ અંગે ઇડર પોલીસ અને ઇડર મામલતદારને જાણ કરાતાં તાત્કાલીક ધોરણે ખેડૂતોને સમજાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.