વડગામના શેરપુરામાં ખેતરમાં લગાવેલ ઇલેક્ટ્રિક વાડને સ્પર્શ કરતા કરંટ લાગતા ખેત મજૂરનું મોત
ખેતરમાં પશુઓ પ્રવેશ ન કરે તે માટે ખેતર ફરતા ઇલેક્ટ્રિક વાડ બનાવવી ઘાતક બની
છાપી
વડગામ તાલુકાના શેરપુરા (શે)ની સીમમાં શનિવાર સવારે ખેતરને ફરતી ઇલેક્ટ્રિક વાડના જીવંત તારને સ્પર્શ થતાં ખેતરમાં ચારા વાળવાનું કામ કરતા આશાસ્પદ ખેત મજુરનું કરુંણ મોત નિપજતા ચકચાર મચી ગઈ હતી.
વડગામ પોલીસ મથકથી જાણવા મળતી માહિતી મુજબ શેરપુરા (શે.) ગામની સીમમાં આવેલ સમીરજી સદાજી ઠાકોરના ખેતરમાં રાત્રીના સમયે પશુઓ પ્રવેશ કરી ખેતીને નુકશાન ન કરે તે માટે ખેતર ફરતે ઇલેક્ટ્રિક વાડ કરવામાં આવેલ હતી. દરમિયાન ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવેલ હોઈ શનિવારે સવારે ખેતરમાં કામ કરતા પ્રવીણજી સોમાજી ઠાકોર રહે. શેરપુરા ઘઉંના પાકને ચારા વાળવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક પ્રવીણજી જીવંત વાયરને સ્પર્શ કરી દેતા વીજ કરંટ લાગતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિજનો ખેતરમાં ઉમટી પડયા હતાં. જોકે આ બાબતે મૃતુકના પિતાએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.