બનાસકાંઠાના છેવાડાના સરહદી વાવ અને સુઇગામ પંથકના ખેડુતોએ સોમવારે બહોળી સંખ્યામાં થરાદની પ્રાંતકચેરીમાં ધસી આવ્યા હતા.જ્યાં તેમણે કચેરીમાં લેખિત રજુઆત સ્વરૂપે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વાવ, સુઇગામ તાલુકાના અસારાગામ, ચતરપુરા, ગોલપ, નેસડા, પાડણ, રડોસણ, મેઘપુરા ગામોમાં આજ સુધી નર્મદાનું પાણી મળ્યું નથી. ગતરોજ નર્મદા નિગમે પંથકના ખેડુત આગેવાનોને બોલાવીને બાંયધરી આપતાં ખેડુતોએ તેમના દાગીના અને પશુધન વેચીને તથા વ્યાજ પર વેચાણ કરીને ખેતરો તૈયાર કરીને રાખ્યાં છે. પરંતુ પખવાડીયાથી ચાતક નજરે રાહ જોઇને બેસવા છતાં પણ ખેતરોમાં પાણી આવ્યું નથી. નર્મદા નિગમ સામે રોષ પ્રક્ટ કરતાં ખેડુતોએ જણાવ્યું હતું કે વારંવાર રજુઆતો કરવા છતાં પણ કચેરી સાંભળવા તૈયાર નથી. દુષ્કાળની સ્થિતી વચ્ચે ખેડુતો બેહાલ છે.